લેટરકાંડમાં મારો અને સબંધીતોનો નાર્કો ટેસ્ટ કરી તપાસ હાઇકોર્ટનાં જજને સોંપો : શ્રી દિલીપ સંઘાણી

અમરેલી

,અમરેલીના ચર્ચાસ્પદ બનેલા લેટરકાંડમાં ભાજપના દિગ્ગજ નેતા શ્રી દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી અને સમગ્ર બનાવની તપાસ હાઇકોર્ટના નિવૃત જજ અથવા સીટીંગ જજને સોંપી અને સત્ય શું છે તે જાણવા માટે પોતાનો અને સાથે આ ઘટનામાં સબંધીત આગેવાનોનાં નાર્કો ટેસ્ટ કરી સત્ય શોધવા માંગણી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.શ્રી દિલીપ સંઘાણીએ લેટરમાં જણાવ્યુ છે કે, અમરેલીના તાજેતરના બનાવ અંગે ઇલેક્ટ્રોનિક્સ તથા પ્રિન્ટ મીડીયાના અહેવાલ થી મને જાણ થયેલ કે અમરેલી તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી કીશોરભાઇ કાનપરીયા દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરેલ તેમાં અમરેલી પોલીસ દ્રારા અમરેલી તાલકા ભાજપના પ્રમુખ શ્રી મનિષભાઇ વઘાશીયા, એક મહિલા સહીત કુલ 4 વ્યક્તિની ધરપકડ કરેલ હતી અને જયારે તેઓ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેઓને માર મારી કિશોરભાઇ કાનપરીયાના કહેવાતા આ પત્ર લખાવવા માટે મારૂ તથા અન્ય ભાજપ આગેવાનના નામ આપવા દબાણ કરેલ તેવી હકીકત મનિષભાઇ વઘાશીયા એ પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલ જે મેં મીડીયાના માધ્યમથી જોયેલ. જે અત્યંત ગંભીર બાબત કહી શકાય. અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારી ના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારુ માનવુ છે. વધમાં, કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે.આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા મારે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું, તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઇએ જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે.સરકાર પોલીસની ગેરકાયદેસર રાત્રે મહિલાની ધરપકડ છાવરે તે હકીકત ખોટી છે. સરકાર સત્ય બહાર લાવવા તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરાવી રહે છે તે હકીકતની લોકોને પ્રતીતિ કરાવવી જરૂરી છે. જે ગંભીરતાને જોતા આ કેસની તપાસ હાઈકોર્ટના સીટિંગ અથવા નિવૃત જજ દ્રારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે.