અમરેલીમાં વિદ્યાર્થીનીઓને સંબોધતા શિક્ષણમંત્રી શ્રી પાનસેરીયા

અમરેલી ,

વિદ્યાર્થી જીવનમાં શિક્ષણ સાથે મૂલ્યોનું મહત્વ સમજાવવાના હેતુથી અમરેલી સ્થિત શાંતા બા ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલા સમારોહમાં શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ ધો.11 અને ધો.12ની વિદ્યાર્થિનિઓ સાથે શૈક્ષણિક અને જીવન ઘડતર બાબતે મુક્તમને સંવાદ કર્યો હતો. મંત્રીશ્રીએ પોતાના પ્રવચનમાં તેજસ્વિતા, વિનમ્રતા, આદર અને કેળવણી યુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી મૂલ્ય આધારિત જીવન જીવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થિનિઓને જીવન મૂલ્યોના પાઠ શીખવાડતા ભગવદ ગીતાના વિવિધ અધ્યાય અને શ્લોકો તેમજ તેના અર્થ સમજાવ્યા હતા. તેમણે પ્રેરણા પૂરી પાડતા જણાવ્યુ કે, જીવન જીવવા માટે રોજગાર લક્ષી શિક્ષણ જ પૂરતું નથી. શિક્ષણ સાથે જીવનમાં કેળવણી સાથે મૂલ્યનિષ્ઠતા પણ આવશ્યક છે. ભગવદ ગીતાનો સાર અને તેના મૂલ્યો નિરાશા, હતાશા અને જીવનના અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરવા ઉપયોગી છે. આપણા પ્રાથમિક શિક્ષણમાં મુખ્યમંત્રીશ્રીના અથાગ પ્રયાસો અને પ્રયત્નો દ્વારા ધો.06-ધો.08માં ભગવદ ગીતાના પાઠ દાખલ કરવામાં આવ્યા છે. ભાગ બે માધ્યમિક શિક્ષણમાં અને ભાગ ત્રણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં દાખલ કરવામાં આવશે. વિદ્યાર્થીકાળમાં સેવેલા સ્વપ્નોને સાકાર કરવા માટે તેજસ્વિતા, વિનમ્રતા, આદર અને કેળવણી જેવા ગુણા કેળવવા જરુરી છે. મંત્રીશ્રીએનવી શિક્ષણ પદ્ધતિ વિશે વિદ્યાર્થિનિઓને જણાવ્યુ કે, પુરાતન સમયે ભારતનું શિક્ષણ શ્રેષ્ઠ હતું, સમયાંતરે તેમાં પરિવર્તન આવ્યું હતું. નવી શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને મુક્તમને વિષયાંતર સાથે અભ્યાસ કરવાની તક મળશે.કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના નિયામકો, સંચાલકો, ટ્રસ્ટીગણ અને અગ્રણીઓ દ્વારા શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, શાળાના શિક્ષકો, વિદ્યાર્થિનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા