અમરેલી જિલ્લામાં માછીમારીને રૂા.1240.61 લાખની સહાય મંજુર

અમરેલી જિલ્લામાં માછીમારીને રૂા.1240.61 લાખની સહાય મંજુર

અમરેલી , ગુજરાત રાજ્યને 1,600 કિમી લાંબો દરિયા કિનારાનું વરદાન પ્રાપ્ત થયું છે. જેમાંથી અમરેલી જિલ્લો 62 કિમીનો દરિયા કિનારો ધરાવે છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદ, ધારાબંદર, શિયાળબેટ તથા ચાંચ બંદર આમ કુલ મળી 4 મત્સ્ય બંદરોનો સમાવેશ થાય છે. અમરેલી જિલ્લામાં દરિયાઈ મત્સ્યોદ્યોગ, આંતરદેશીય મત્સ્યોદ્યોગ તેમજ ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગનો સમાવેશ થાય છે. અમરેલી જિલ્લાનું જાફરાબાદ બંદર, એ તેની “બોમ્બે ડક’ (બુમલા) માછલીની માછીમારી માટે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. પ્રતિવર્ષ 10મી જુલાઈ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે માછીમારી માટે મહત્તા ધરાવતા અમરેલી જિલ્લાના માછીમારોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે.જિલ્લાના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીએ જણાવ્યુ કે, અમરેલી જિલ્લા કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા જાફરાબાદ, શિયાળબેટ, ચાંચબંદર, નવાબંદર, સૈયદ રાજપરા તથા સિમર મત્સ્ય બંદરો/ઉતરણ કેન્દ્ર ખાતે નાની અને મોટી 1,706 જેટલી માછીમારી બોટો નોંધાયેલી છે. અમરેલી જિલ્લામાં 33 જળાશયો છે, જેમાં સરકારના પ્રર્વતમાન નિયમો અનુસાર ઈજારા પેટે આપવામાં આવે છે. ડીઝલ વેટ રાત યોજના તળે કુલ 22019 લાભાર્થી માછીમાર બોટ માલીકોને મહત્તમ રૂા.15 પ્રતિ લીટર વેટ રાહત ચુકવવામાં આવી છે. અને કેરોસીન વેટ રાહત યોજના અંતર્ગત માછીમારોને રુ.9.25 લાખની વેટ રાહત ચૂકવવામાં આવી છે. મત્સ્યદ્યોગ ખાતા દ્વારા માછીમારોને વિવિધ પ્રકારની યોજનાકીય સહાયોનું ચૂકવણું કરવામાં આવે છે. જેમ કે, પગડીયા સહાય, જી.પી.એસ સહાય, નવા એન્જીન ખરીદવા, નવા આઈસ પ્લાન્ટ, માછલી સપ્લાય કરવા રેફ્રરીજરેટેડ વાન, ઓબીએમ/આઈબીએમ, પોલી પ્રોપોલીન રોપ, જમ્બો પ્લાસ્ટીક ક્રેટ, લાઈફ સેવિંગ જેકેટ અને ડીપ ફ્રીઝર જેવી વિવિધ યોજનાઓમાં કુલ 46 માછીમારી બોટોને રુ.39.17 લાખની સહાય ચૂકવવામાં આવી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ઈન્સ્યુલેટેડ વાન, બોટ અપગ્રેડેશન તથા આઈસ પ્લાન્ટ સ્થાપના અન્વયે કુલ 4 લાભાર્થીઓને રૂા. 113.60 લાખની સહાયનું ચુકવણું કરવામાં આવેલ છે. તથા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડ સ્વરુપે વર્ષ:- 2023-24 માં 245 માછીમાર બોટ માલિકોને રુ.1064.59 લાખની લોન મંજૂર કરવામાં આવી છે. માછીમાર જૂથ અકસ્માત યોજના અતર્ગત 07 મૃત્તક માછીમારના વારસદારોને રુ.14.00 લાખની સહાય ચુકવવામાં આવી છે. અમરેલી જિલ્લામાં માછીમાર સહાયો પૈકી રુ.1240.61 લાખની સહાયો રાજય સરકારના મત્સ્યોદ્યોગ ખાતા મારફત મંજૂર કરવામાં આવી છે. જિલ્લામાં થયેલ અન્ય ઉત્કૃષ્ટ અને પ્રોત્સાહક કામગીરીની કરવામાં આવેલ છે. તાઉતે વાવાઝોડા દરમ્યાન મત્સ્યો બંદરો ઉપર મોટા પ્રમાણમાં નુકશાન થયું હતુ. જે અનુસંઘાને જાફરાબાદ ખાતે જેટીના સમારકામ તથા નવી જેટીના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા રુ.11.40 કરોડના ખર્ચે હાલ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. જયારે શિયાળબેટની જેટી અને બોટ પાર્કીંગ વ્યવસ્થા માટેની કામગીરી ટૂંક સમયમા શરુ કરવામાં આવશે.ગુજરાત રાજ્યના 10 મોટા બંદરોમાં જાફરાબાદ બંદરનો સમાવેશ કરવામાં આવે છે. તેમજ આ સમગ્ર વિસ્તારને ડ્રાઈફિશીંગ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. જિલ્લામાં રહેલા આ રીર્સોર્સીસ થકી સરકારને આવક થાય છે. જેમાં જળાશય ઈજારા રકમ પેટે કુલ રૂ.96.20 લાખ તથા ફિશીંગ લાયસન્સ ફી, ફિશીંગ બોટ વેરિફિકેશન તથા મત્સ્ય બીજ પેટે રુ.5.19 લાખ સહિત કુલ મળી ચાલુ વર્ષમાં રુ.101.39 લાખની આવક સરકારને થઈ છે.મત્સ્યોદ્યોગની સહાયો મેળવવા માટે માછીમારોએ મત્સ્યોદ્યોગના વિવિઘ પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરવાથી સહાયની રકમ માછીમારોના બેંક ખાતામાં સીધી જ જમા કરવામાં આવી રહી છે. હાલ મત્સ્યોદ્યોગ દ્વારા માછીમારોને અપાતા ફિશીંગમાં જવાના ટોકન, ડીઝલ સબસીડી તથા માછીમારીમાં ઉપયોગી સાઘનોની સહાયતથા ફિશીંગ બોટના રજીસ્ટ્રેશન, લાયસન્સ જેવી તમામ સુવિઘાઓ ઓનલાઈન માઘ્યમથી માછીમારોને પૂરી પાડવામાં આવી રહી છે, તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીએ જણાવ્યુ હતુ. (તસ્વીરો એમ.એમ. ધકુડ જિલ્લા માહિતી કચેરી અમરેલી)