મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી. હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીરની ચૂંટણીની સાથે જ મહારાષ્ટ્ર ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવશે એવું મનાતું હતું પણ ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીની તારીખોની જાહેરાત ટાળી હતી. હવે બંને રાજ્યોમાં ચૂંટણીની પ્રક્રિયા પૂરી થતાં જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. બલ્કે પંચે જાહેરાત કરવી પડી છે કેમ કે વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે અને ઝારખંડનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025ના રોજ પૂરો થાય છે.
આ સંજોગોમાં ઝારખંડમાં ચૂંટણી પંચ પાસે બે મહિના જેટલો સમય છે પણ મહારાષ્ટ્રમાં રાહ જોઈ શકાય તેમ નથી એટલે ચૂંટણી પંચે મંગળવારે બપોરે 3.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર નાખી. ચૂંટણી પંચે 14 રાજ્યોની 48 વિધાનસભા અને 3 લોકસભા સીટો માટે પેટાચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી નાખી છે.
ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે જ્યારે ઝારખંડમાં બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે મતદાન થશે. મહારાષ્ટ્રમાં છેલ્લા બે વખત એટલે કે 2014 2019માં એક તબક્કામાં જ ચૂંટણી યોજાઈ હતી કેમ કે મહારાષ્ટ્ર શાંત રાજ્ય છે અને ચૂંટણી દરમિયાન હિંસાનો ટ્રેક રેકોર્ડ નથી. 2014માં તમામ 288 બેઠક માટે 15 ઓક્ટોબરે મતદાન થયું હતું જ્યારે 2019માં એક તબક્કામાં 30 નવેમ્બરે મતદાન થયું હતું. તેનાથી વિપરીત ઝારખંડમાં ચૂંટણી વખતે હિંસા ના થાય તો જ એવી હાલત છે. ઝારખંડમાં તો ચૂંટણી ધૂમધડાકાભેર જ થાય છે.
ઝારખંડમાં છેલ્લી બે વિધાનસભા ચૂંટણી પાંચ-પાંચ તબક્કામાં કરવી પડી છે ત્યારે આ વખતે બે જ તબક્કામાં મતદાન થશે એ સારું છે. બંને રાજ્યોનાં ચૂંટણી પરિણામો 23 નવેમ્બરે આવશે. કેરળના વાયનાડમાં 13 નવેમ્બરે જ્યારે બંગાળના બસીરહાટ અને મહારાષ્ટ્રના નાંદેડમાં 20 લોકસભા બેઠકો માટે મતદાન થશે. કેરળની વાયનાડ બેઠક રાહુલ ગાંધીના રાજીનામાને કારણે ખાલી થઈ છે, મહારાષ્ટ્રની નાંદેડ બેઠક કોંગ્રેસના સાંસદનું અવસાન થવાથી ખાલી થઈ છે અને પશ્ર્ચિમ બંગાળની બસીરહાટ બેઠક તૃણમૂલના સાંસદના નિધનને કારણે ખાલી થઈ છે.
આ ઉપરાંત 13 નવેમ્બરે 47 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે અને તેમાં મહત્ત્વની ઉત્તર પ્રદેશની 9 બેઠકો છે. ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. યુપીમાં 10 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની હતી, પરંતુ કોર્ટમાં દાખલ અરજીને કારણે મિલ્કીપુરમાં પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી. ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા બેઠક પર 20 નવેમ્બરે મતદાન
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે સાથે આ તમામ પરિણામો 23 નવેમ્બરે આવશે. ચૂંટણી પંચે કરેલી જાહેરાતના કારણે હવે દેશમાં 23 નવેમ્બર લગી ચૂંટણીમય માહોલ રહેશે. બજારમાં અત્યારે સાવ મંદીનો માહોલ છે અને દિવાળી હોવા છતાં દિવાળી જેવું લાગતું નથી ત્યારે આ સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓના કારણે ગરમીનો માહોલ આવશે આશા છે.
રાજકીય રીતે મહારાષ્ટ્ર અને ઝારખંડ એ બંનેમાં વિધાનસભા ચૂંટણી અત્યંત મહત્ત્વની છે અને ભાજપ તથા કોંગ્રેસ એ બંને રાજકીય પક્ષો માટે નિર્ણાયક છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતી ના મેળવી શક્યો પણ હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રમાણમાં સારો દેખાવ કર્યો છે. હરિયાણામાં ભાજપ બેઠક જીતીને સળંગ ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહ્યો છે.
હરિયાણામાં અત્યાર સુધી કોઈપણ રાજકીય પક્ષે સતત ત્રણ વખત સરકાર બનાવી નથી. હરિયાણામાં ભાજપન જીતની આશા નહોતી છતાં ભાજપ જીતી ગયો એ મોટી વાત છે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે જીત મેળવી છે ઉમર અબ્દુલ્લાના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બનાવવા જઈ રહી છે. કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સને ગઠબંધનને 48 બેઠક મળી હતી. 15 વર્ષ પહેલાં 2009માં પણ કોંગ્રેસ અને એનસી ગઠબંધનની સરકાર બની હતી. ત્યારે ઓમર 38 વર્ષના હતા અને રાજ્યના સૌથી યુવા મુખ્ય પ્રધાન બન્યા હતા. જો કે મહારાષ્ટ્ર અને ઝારખંડ ભાજપ માટે વધારે છે. મહારાષ્ટ્ર તો ઉત્તર પ્રદેશ પછી દેશનું બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે. યુપીમાં લોકસભાની 80 બેઠકો છે જ્યારે મહારાષ્ટ્રમાં 48 બેઠકો છે એ જોતાં રાજકીય રીતે તો મહારાષ્ટ્ર મહત્ત્વનું છે જ પણ દેશનું કોર્પોરેટ કેપિટલ હોવાથી સૌથી વધારે ચૂંટણી ફંડ મળે છે તેથી મહારાષ્ટ્રમાં સત્તા હોય તેને ઘી-કેળાં જાય. આ કારણે પણ ભાજપ માટે મહારાષ્ટ્ર વધારે મહત્ત્વનું છે.
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ બંનેમાં ભાજપનો દેખાવ બહુ વખાણવા જેવો નહોતો. મહારાષ્ટ્રમાં મહાયુતિ એટલે કે શિવસેના, ભાજપ અને એનસીપી અજિત પવાર જૂથની સરકાર છે પણ 2024ની લોકસભા ચૂંટણીમાં આ મહાયુતિને કારમી હાર મળી હતી. મહારાષ્ટ્રની 48 બેઠકમાંથી ઈન્ડિયા 30 અને એનડીએને 17 બેઠક મળી હતી, જેમાં ભાજપને 9, શિવસેનાને 7 અને એનસીપીને માત્ર 1 સીટ મળી છે. ભાજપને કુલ 23 બેઠકનું નુકસાન થયું. 2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએને 41 બેઠક મળી હતી. 2014માં આ આંકડો 42 હતો એ જોતાં 2024માં ભાજપને અડધા કરતાં પણ ઓછી બેઠકો મળી છે.
મહાગઠબંધન એટલે કે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ની આગેવાની હેઠળની સરકાર છે જેમાં કોંગ્રેસ, આરજેડી અને ડાબેરી પક્ષો છે પણ લોકસભા ચૂંટણીમાં 14માંથી 9 બેઠકો સાથે ભાજપનો હાથ ઉપર રહેલો તેથી ભાજપ જીતનો આશાવાદ ધરાવે છે. ઝારખંડમાં ભાજપે સંથાલ પરગણા અને કોલ્હાન વિભાગની 32 બેઠક પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હેમંત સોરેનને ભ્રષ્ટાચારના કેસમાં જેલભેગા કરાતાં રાજીનામું આપવું પડેલું અને 156 દિવસ ચંપાઈ સોરેન મુખ્ય પ્રધાન બનેલા. હવે ચંપાઈ ભાજપમાં જોડાયા તેથી ભાજપને ચંપાઈ ફળવાની પણ આશા છે.