અખાત્રીજના આથમણા પવને “વનરાજી ખીલી ઊઠે’નો  વર્તારો આપ્યો

અખાત્રીજના આથમણા પવને “વનરાજી ખીલી ઊઠે’નો વર્તારો આપ્યો

બગસરા,
આજે અખાત્રીજના દિવસે વહેલી સવારે પવન કઇ બાજુથી વાય છે? તે જાણવા અભ્યાસુઓ તથા ધરતીપુત્રો સૌ કોઈમાં ઈંતેજારી હતી જે વહેલી સવારના ત્રણ વાગ્યા થી છ વાગ્યા સુધી આથમણી તેમજ નૈત્ય દિશા ના પવન વાતા વનરાજી ખીલી ઊઠે સાથે મધ્યમ ચોમાસાનો વર્તારો આપ્યો હતો. વિગત અનુસાર ધરતીપુત્રો માટે વર્ષોથી અખાત્રીજના પવનનું ખૂબ જ મહત્વ રહ્યું છે આ વર્ષે અખત્રીજ ની વહેલી સવારે 3 વાગ્યાથી સૌપ્રથમ પવન પશ્ચિમ તરફથી વાય ને પૂર્વ તરફ ગયો હતો.
તેમજ સાથે સાથે નૈત્ય દિશામાંથી પણ ફણગીઓ જોડાતા ચોમાસાની શરૂઆત સામાન્ય કરતા મોડી અને સાર્વત્રિક રીતે ન થાય તેવી શક્યતા વર્તાઇ હતી. બગસરા થી દર્શન ઠાકર ના જણાવ્યા અનુસાર આથમણો પવન વાતા “વનરાજી ખીલી ઉઠે” તેમજ સાથે રહેલા નૈત્ય દિશા ના પવનથી આગામી ચોમાસુ પ્રમાણમાં મધ્યમ રહે તેવો વરતારો થાય. વધુમાં ચૈત્રી દનૈયા દરમિયાન છેલ્લા બે દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેતા ચોમાસાના અંત ભાગમાં જરૂરિયાત મુજબ વરસાદ ન પડે તેવી પણ શક્યતા રહેલી છે.તેમજ વહેલી સવારથી જ નૈત્ય દિશાના પવનને કારણે સર્વત્ર વાવણી લાયક વરસાદ ને બદલે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સમયે વાવણી થવાની તેમજ છેતરામણા વરસાદ અને પાકમાં રોગને લીધે બિયારણ બગડવાની શક્યતા મનાઈ રહી છે. આ વર્ષે હોળીની જાળ તથા ચૈત્રી દનૈયા દરમિયાન તાપ તેમજ આજના અખાત્રીજના પવનના વરતારાને કારણે એકંદરે આવનાર ચોમાસું પ્રમાણમાં મધ્યમ રહે તેવું જાણકારો માને છે, ત્યારે આગામી ચોમાસામાં પાક અને પાણીની સ્થિતિ સારી રહે તેવી આશા રાખીએ.